જ્યારે ગુસ્સો ચઢે છે ત્યારે -
એકવાર લિંકન પાસે ફરિયાદ લઈને ગયેલો ઓફિસર ઉશ્કેરાટમાં વચ્ચે-વચ્ચે અપશબ્દ બોલતો હતો. લિંકને એને અટકાવતાં કહ્યું : ‘ભલા માણસ, મારી સામે આટલો બફાટ કાઢવા કરતાં એ માણસને ધધડાવતો એક જોરદાર પત્ર લખી નાંખતો હોય તો ? લે આ કાગળ અને અત્યારે જ અહીં બેસીને લખી નાંખ !’
ગુસ્સે ભરાયેલ એ ઑફિસરે એવું જ કર્યું. એણે પોતાનો બધો ગુસ્સો પત્રમાં ઠાલવી દીધો. એ પછી હળવાશ અનુભવતાં એણે લિંકનને એ પત્ર વાંચવા આપ્યો.
‘વાહ તેં તો જોરદાર પત્ર લખ્યો છે !’ લિંકને મલકાતાં કહ્યું, ‘આવું તો મને પણ લખતાં ન આવડે !’
ઑફિસરે પ્રસન્ન થતાં પૂછ્યું : ‘હવે શું ?’
લિંકને પણ એ જ શૈલીમાં જવાબ આપ્યો : ‘હવે શું – હવે કાંઈ નહિ !’ અને માર્મિક ઢબે હસવા લાગ્યા. એ ઑફિસર તો ડઘાઈ ગયો અને લિંકનને બાઘાની જેમ જોઈ રહ્યો. ત્યારે લિંકને આદેશ આપ્યો : ‘જાઓ, આ પત્ર પેલી સગડીમાં નાખી દો. મને પણ જ્યારે ગુસ્સો ચઢે છે ત્યારે હું આવું જ કરું છું. આમ કરવાથી મનનું ઝેર બહાર નીકળી જાય છે ને આપણને શાંતિ મળે છે !