આજે અમારી ઑફિસમાંથી જયેન્દ્રકાકા retire થઈ ગયાં… આમ તો મારે અને જયેન્દ્રકાકાને ઝાઝો પરિચય નહિ, હા. ત્રણેક વર્ષ સાથે કામ કર્યું પણ ડિપાર્ટમેન્ટ જુદા એટલે બહુ પરિચય કેળવાયેલો નહિ… એમના રીટારમેન્ટના માનમાં અમે બધાંએ સ્ટાફ મેમ્બર્સે એક ફેરવેલ પાર્ટી આપી… એક ગીફટ આપી અને ‘હસતાં’ ચહેરે એમને વિદાય આપી…
આમ તો ખાસ વર્ણવવા જેવો પ્રસંગ નહિ, પણ ખબર નહિ કેમ એમને જતાં જોઈને આંખમાં પાણી આવી ગયાં… એમને અમે શું ગીફ્ટ આપી ખબર છે? એક કાંડા ઘડિયાળ…!!!! પણ એમને જતાં જોઈને લાગ્યું કે હવે એમને આ ગીફ્ટનો ખપ ખરો???? સમય સાથે કદમ મિલાવી આખી 30 વર્ષ સુધી નિયમિત સમયસર ઑફિસ આવી જતાં જયેન્દ્રકાકાને હવે આ ઘડિયાળ શું પીડા નહિ આપે?
કાલે સવારે એમનાથી કદાચ સમયસર તૈયાર થઈ જવાશે… સમયસર પોતાનું રૂટિન પતાવીને એ કદાચ જ્યારે ઘરની બહાર નીકળવા જશે ત્યારે એમના ઘરની કોઈ વ્યક્તિ એમને અટકાવશે કે “ઓહો, આજે તો તમારે ઑફિસ નથી જવાનું…” અને ત્યારે કદાચ મન પર એક ઉઝરડો પડી જશે…
ઑફિસમાં રોજની જેમ જ HR મેનેજર મસ્ટરમાં જોઈ વિચારશે કે આજે કાકા મોડા પડ્યા છે… અને પછી એને પણ કોઈ યાદ કરાવશે કે “અરે, હવેથી તો જયેન્દ્રકાકા નથી આવવાના…”.એકાદ-બે દિવસ સહકર્મચારીઓથી પણ એમના ટેબલ પર કામની ફાઈલ્સ મૂકી દેવાશે અને પછી જાતે જ યાદ કરી લેવાશે કે હવે આ કામ બીજા કોઈએ સંભાળી લેવાનું છે…
બસ… બે-ત્રણ દિવસનો કચવાટ… બે-ત્રણ દિવસનો અજંપો… બે-ત્રણ દિવસની વિહવળતા… અને પછી બધું જ રૂટીન…. એમની જગ્યા ભરાઈ જશે… એમની હાજરીની ખોટ વિસરાઈ જશે… એ પોતે પણ ઘરથી નીકળીને કોઈ મંદિર કે કોઈ સંસ્થા કે પછી બાળકોને લઈને બગીચામાં જતાં થઈ જશે… અને થઈ જશે નિવૃત્તિની સહજ સ્વીકૃતિ…